Sunday, August 31, 2008

પંચતંત્ર ના સર્જક વિષ્ણુ શર્મા

ઘણાં વર્ષો પહેલાં મગધની રાજધાની પાટલીપુત્ર પર સત્યવ્રત નામે રાજા રાજ્ય કરતા હતાં. તે ન્યાયી,પ્રેમાળ,સત્યપ્રેમી અને પરાક્રમી હતા. તેમના રાજ્યમાં ખૂબ જ શાંતિ હતી. પ્રજાને કોઇપણ જાતનું દુઃખ ન હતું. બધા સંપીને રહેતા હતા. તેમના દરબારમાં વિદ્ધાનો અને કલાકારોનું સન્માન થતું. દેશધેશના વિદ્ધાનો,કલાકારો રાજાના દરબારને શોભવતા હતા.

સત્યવ્રત રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય કુંવરો રંગે ગોરા અને બહાદુર હતા. પરંતુ રાજા-રાણીના અતિશય લાડપ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને કુંવરોના ભવિષ્યની ચિંતા ખુબ જ સતાવતી હતી. તેમને થતું કે મારા પછી મારું આ રાજ્ય કોણ સંભળશે? રાજાએ કુંવરોને ભણવવા માટે કેટકેટલા વિદ્ધાનો રોક્યા, કેટલાય આશ્રમોમાં કુંવરોને મોકલ્યા;પણ રાજકુંવરો સુધર્યા નહિ. તેઓ ભણાવનાર વિદ્ધાનોને ખૂબ જ કનડગત કરીને ભગાડી મૂક્તા. ત્રણેય કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને કંઈ રીતે હેરાન-પરેશાન કરતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કનડગત સહન કરી લેતા, પણ રાજાને કોઈ ફરિયાદ કર્તા નહિ. રાજાને ગુપ્તચરો મારફત ત્રણેય કુંવરોની માહિતી મળી જતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું.

એક દિવસ રાજ્દરબારમાં રાજાએ પોતાની આ ચિંતા વિદ્ધાનો અને પંડીતો સમક્ષ રજૂ કરી, પરંતુ રાજકુમારોને વિધ્યા આપવા માટે કોઈ તૈયાર ન થયું. બધા નીચા મસ્તકે બેસી રહ્યા. બધાજ રાજકુમારોનાં પરાક્રમો સારી રીતે જાણતા હતા. આથી તેમને ભણાવવાની હિંમત કોઈપણ કરી શક્યું નહિ. બધા ચૂપચાપ થઈને બેઠા રહ્યા.
દરબારમાં આવી શાંતિ જોઈ રાજા નિરાશ થઈ ગયા. તેમણે કહ્યું ઃ" અરેરેરે! મારા દરબારમાં કોઈપણ એવો વિદ્ધાન નથી કે જે મારા કુંવરોને વિધ્યા આપી શકે ?" આ તો વિદ્ધાનો અને પંડિતોની ઈજ્જતનો સવાલ હતો.
દરબારના એક ખૂણામાં બેઠેલા પંડિત વિષ્ણુ શર્માને રાજા ઉપર દયા ઊપજી. તેઓ પણ રાજકુમારોના તોફાન વિશે સારી રીતે જાણતા હતા.છતાં પોતાની રાજાની ખાતર,રાજ્યના ભવિષ્યની ખાતર તેઓ ત્રણેય રાજકુંવરોને ગુણવાન અને વિધાવાન બનાવવાનું બીડું ઝડપી લીધું. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને વિધ્યા આપવા માટે રાજમહેલને બદલે એકાંત સ્થળની પસંદગી કરી અને કુંવરોને તેઓ પોતાની સાથે લઈ ગયા.

કુંવરોને પંડિત વિષ્ણુ શર્મા સાથે જવું ન હતું, છતાં પિતાજીની આજ્ઞાને વશ થઈને ગયા. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને ભણવા બેસાડ્યા. પરંતુ કુંવરોએ તો પંડિત વિષ્ણુ શર્માને સ્પષ્ટ કહી દીધું કે"અમને ભણવાનું સહેજ પણ ગમતું નથી. અમને તો આ એકાંત સ્થળે ફરવાની રજા આપો."

"રાજકુંવરો ! હું તમને ભણાવવાનો નથી. હું તો તમને જાતજાતની પશુ-પક્ષીઓની વાર્તાઓ કહેવાનો છું,તે તમે સાંભળો."

"વાર્તા ! અમને પશુ-પક્ષીની વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે છે." ત્રણે કુંવરો એકી સાથે બોલી ઊઠ્યા.

"કુંવરો, હું તમને દરરોજ જાતજાતની વાર્તાઓ કહીશ. તે તમે યાદ રાખજો અને તેમાંથી બોધ ગ્રહણ કરજો."

કુંવરો વાર્તા સાંભળવા માટે તરત તૈયાર થઈને બેસી ગયા. પંડિત વિષ્ણુ શર્માએ વાર્તા કહેવી શરુ કરી. આ બોધદાયક વાર્તાઓ એ જ આપણા પંચતંત્રની કથાઓ છે.